Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદા કો-ઓપરેટીવ સોસાયટીમાં ACના ગોડાઉનમાં એક બાદ એક ફટાકડા ફૂટતા હોય તેમ 15 જેટલા બ્લાસ્ટથી ચારેય તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો. ગોડાઉન કર્તવ્ય મેઘાણી નામના વ્યક્તિનું હતું. અને આ ઘટનામાં તેમની પત્ની સરસ્વતીબેન મેઘાણી અને પુત્ર સૌમ્ય મેઘાણીનું મૃત્યુ થયું છે. તો અન્ય બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી. આગ એટલી વિકરાળ અને ભયંકર હતી કે બહાર પાર્ક કરાયેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ. એટલું જ નહીં બ્લાસ્ટ થતા ગોડાઉનની બાજુમાં આવેલ ત્રણથી ચાર મકાનના કાચ પણ ફૂટી ગયા. આકાશમાં પણ ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા.

મકાન માલિક એરકન્ડિશનનો વ્યવસાય કરે છે. જેના કારણે તેમણે ઘરમાં એસીનો સામાન રાખ્યો હતો. અંદાજે 2 હજારથી વધુ નાના બાટલા અને કોપરના વાયર ઘરમાં રાખ્યા હતા. આગની ઘટનામાં મકાન માલિક અને AMCની બેદરકારી પણ સામે આવી છે. જ્ઞાનદા સોસાયટીના હોદેદારોએ એક વર્ષ પહેલા જ રહેણાંક મકાનનો જે રીતે ઉપયોગ થતો હતો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. 5 માર્ચ 2024એ સોસાયટીના રહીશોએ મનપાના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અરજી પણ આપી હતી. મકાન માલિકને પણ સોસાયટીએ જોખમી માલસામાન દૂર કરવા સૂચના આપી હતી. અરજી આપી હોવા છતાં મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી ના કરતા એક વર્ષ બાદ આગની ઘટના બની છે.

Category

🗞
News

Recommended