અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદા કો ઓપરેટીવ સોસાયટીમાં ACના ગોડાઉનમાં એક બાદ એક 15 જેટલા બ્લાસ્ટથી ચારેય તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો. ગોડાઉનમાં ગેસ રિફિલિંગના સિલિન્ડરમાં એક બાદ એક બ્લાસ્ટ થતા સરસ્વતિબેન પ્રજાપતિ નામની મહિલા અને તેની પુત્રીનું દાઝી જતા મોત નિપજ્યુ.. ભીષણ આગને લીધે આસપાસના મકાનો અને વાહનો પણ આગની ચપેટમાં આવ્યા. એટલુ જ નહીં.. બ્લાસ્ટ થતા ગોડાઉનની બાજુમાં આવેલ ત્રણથી ચાર મકાનના કાચ પણ ફુટી ગયા.. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ મુદ્દે પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.. જ્ઞાનદા સોસાયટીના ચેયરમેને એબીપી અસ્મિતા પર મોટો દાવો કરતા કહ્યું કે વારંવાર ફોન કર્યા છતા મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી ન કરી. સોસાયટીના ચેયરમેને કરેલા દાવા પર એબીપી અસ્મિતાની ટીમે એસ્ટેટ ઓફિસર રાજેશ જીવાણીનો પણ સંપર્ક કર્યો.. રાજેશ જીવાણીએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે સોસાયટીએ કોઈ જાણ કરી નથી.. દુર્ઘટના બાદ હવે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ અંગે આસિસ્ટન્ટ ટીડીઓએ તપાસના આદેશ આપ્યા છે.. બીજી તરફ ધારાસભ્ય અમિત ઠાકરે ઘટનામાં જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહીની પણ ખાતરી આપી.. દુર્ઘટના બાદ સ્થાનિકોમાં પ્રશાસને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે..
Category
🗞
News