અમદાવાદના જોધપુર ટેકરા વિસ્તારમાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર પરમધામ

  • 5 years ago
પરમધામ

અમદાવાદના જોધપુર ટેકરા વિસ્તારમાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર

મંદિરનાં શિખર કળશમાં ભગવાન શંકરનું ત્રિશૂળ શોભે છે, જે દર્શાવે છે કે ઈશ્વર એક જ છે ફક્ત નામ-રૂપ જૂદાંછે

વર્ષ 1973માં અ સ્વામી ચિન્મયાનંદજીના હસ્તે આ મંદિરનું ભૂમિપૂજન થયું હતુ જેના 6 વર્ષ બાદ 1979માં સ્વામી ચિન્મયાનંદજી, સ્વામી અખંડાનંદજી મહારાજ, શકુંતલા દેસાઈ અને મૃણાલિની સારાભાઈ જેવા મહાનુભાવોની હાજરીમાં મંદિરના કળશની અભિષેકવિધિ થઈ હતી જાન્યુઆરી 2017માં આ મંદિરનું નવનિર્માણ થયું હતું જેમાં ભગવાન શ્રી વેણુગોપાલની શ્યામમનોહર રંગની મૂર્તિ, ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવ, વનવાસી સ્વરૂપે શ્રીરામ-સીતા-હનુમાન અને સિદ્ધિવિનાયક ગણપતિજીની મનોહર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી



પરમધામ સ્થાપત્યકળાની રીતે પણ વિશેષતા ધરાવે છે મંદિરના નવનિર્માણમાં જૂના મંદિરમાં વપરાયેલાં પથ્થરોનો ફરી ઉપયોગ કરાયો છે પરંપરાગત મંદિરોના શિખરોથી અલગ અહીં ફોલ્ડેડ પ્લેટ્સથી શિખર રચવામાં આવ્યું છે પ્લેટ્સની વચ્ચે આવેલાં કાચના પટ્ટાઓમાંથી સવારના સમયે સૂર્યનાં કિરણો મંદિરમાં પ્રવેશતાં જ અદભુત દૃશ્ય રચે છે મંદિરની અનોખી ડિઝાઈનને પ્રતિષ્ઠીત આગાખાન એવોર્ડ માટે પણ નોમિનેટ કરાઈ હતી બીજી ખાસ વાત એ કે, મંદિરના પ્રદક્ષિણા પથમાં પ્રદક્ષિણા કરતી વખતે બધા જ કળશ અને ધજાનાં દર્શન થઈ જાય છે વળી મંદિરમાં રેઈન હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે આમ, આધુનિકતા અને ટેક્નોલોજીના ત્રિવેણી સંગમ જેવા પરમધામને ‘ગ્રીન બિલ્ડિંગ્સ ઓફ 2017’ કેટેગરીમાં હુડકો દ્વારા પ્રથમ પારિતોષિક મળ્યું છે



સમાજ કે દેશમાં પરિવર્તન લાવવા માટે વ્યક્તિએ પહેલાં પોતાની જાતમાં પરિવર્તન લાવવું જરૂરી છે એ ધ્યેય સાથે પરમધામમાં દાયકાઓથી લોકોને આદ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ઉન્નત બનાવવાની પ્રવૃત્તિ ચાલે છે રોજ આરતી, પૂજા, સત્સંગ સાથે નાનાં બાળકો માટે શિશુવિહારનાં વર્ગો, યુવાનો માટે ચિન્મય યુવા કેન્દ્ર અને 18 વર્ષના કિશોરથી વડીલો અને વૃદ્ધો માટે દર અઠવાડિયે સ્ટડી ક્લાસ પણ ચાલે છે મહિલાઓ માટે દેવી ગ્રુપ્સનાં ક્લાસ પણ અહીં કાર્યરત છે



આ ઉપરાંત સંસ્કૃત ભાષાનાં વર્ગો, ગીતાગાન ક્લાસ, યોગ ક્લાસ, સ્વરાંજલિ ભજન ક્લાસની સાથે-સાથે અનેક વર્કશોપ્સ ચાલતા રહે છે વાર્ષિક ગીતાગાન સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓથી પરમધામ હંમેશા ગૂંજતું રહે છે



મંદિરમાં રોજ યજુર્વેદી પદ્ધતિથી પૂજા અર્ચના કરવામાં આવે છે, જે તેની વિશેષતા છે અહીં મંદિર પાટોત્સવ, શિવરાત્રી, રામનવમી, ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી વગેરે જેવા ઉત્સવો વિશિષ્ટ ભાવ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે



પરમધામ મંદિર સવારે સાડા પાંચ વાગ્યાથી રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અહીં સવારે સવા છ વાગ્યે અને સાંજે સવા છ વાગ્યે એમ બે વખત આરતી થાય છે



પરમધામની નજીકમાં જ શિવાનંદ આશ્રમ છે ઈસ્કોન મંદિર અહીંથી માત્ર એક કિમી દૂર છે તિરુપતી બાલાજી મંદિર 13 કિમી જ્યારે વૈષ્ણોદેવી મંદિર 15 કિમી દૂર થાય છે આ મંદિરનું સૌથી નજીકનું BRTS અને AMTS સ્ટોપ ઈસરો છે આ મંદિર કાલુપુર રેલવે સ્ટેશનથી 10 કિમી અને એરપોર્ટથી 16 કિમીના અંતરે આવેલું છે